હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?

હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?

ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં હમીરસર તળાવ આવેલું છે. યાયાવર પક્ષીઓ અને પર્યાવરણના દષ્ટિકોણથી આ તળાવ ઘણી વિશેષતા ધરાવે છે. હમીરસર તળાવને રામસર સાઈત જાહેર કરવા માટે શું કરવું જોઇએ ? ગુજરાત સરકાર દ્વારા જે સાત સ્થળોની યાદી તૈયાર કરવામાં આવેલી છે તે 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ'ના નીતિ-નિયમોની નજીક છે પણ દુ:ખની વાત એ છે કે, આપણે ત્યાં રાષ્ટ્રીય સ્તરે વેટલેન્ડસ્ના દુર ઉપયોગને અટકાવવા માટેના કાયદા બનાવવામાં આવેલા નથી. સલીમઅલી સેન્ટર ફોર ઓર્નિથોલોજિ(પક્ષીવિદ્યા) એન્ડ નેશનલ હીસ્ટરી-કોઇમ્બતુરના એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં વર્ષ ૧૯૯૧ થી ૨૦૦૧ દરમિયાન આપણે આપણા ૪૦% વેટલેન્ડસ્ને બગાડી ચુકયા છીએ અથવા તો નામશેષ કરી ચુકયા છીએ. કેટલાક જિલ્લામાં તો આ આંકડો ૮૮% જેટલો છે. ભારતમાં વેટલેન્ડસ્ના રક્ષણ માટે કોઇ અલાયદો કાયદો નથી પણ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ-૧૯૭૨, એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એકટ-૧૯૮૬, ઇન્ડિયન ફોરેસ્ટ એકટ-૧૯૨૭ અને ઇન્ડિયન ફીશરીઝ એકટ-૧૮૯૭ જેવા જુદા-જુદા કાયદાઓ દ્વારા તેનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ દરેક કાયદાઓ વેટલેન્ડસ્ને એક અલગ 'ઇકોસીસ્ટમ' તરીકે વ્યાખ્યાયીત કરી શકતાં નથી. ભારતમાં આવેલા વેટલેન્ડસ્માં ઘણી વિવિધતા જોવા મળે છે પણ આ વેટલેન્ડસ્ હવે ધીરે-ધીરે 'વેસ્ટલેન્ડ' અથવા તો 'રિયલ એસ્ટેટ'માં પરિવર્તન પામી રહ્યા છે. હમીરસરનું જ ઉદાહરણ લઇએ તો, તેના આવકક્ષેત્ર તેમજ જાવકક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં બાંધકામો કરવામાં આવેલા છે. હમીરસર તળાવના પાણીમાં રહેલી જૈવ વિવિધતાને આપણે 'જીવદયા'ના નામે બગાડી રહ્યા છીએ. ધાર્મિક તહેવારોમાં વિવિધ હેતુઓથી પાણીને પ્રદૂષીત કરવામાં આપણે કશું બાકી રાખતાં નથી. તળાવની જે એક 'ઇકોસીસ્ટમ' હોય તેને ખોરવી નાખવાની આપણી પ્રવૃતિ ધમધોકાર ચાલી રહ્યી છે. જે કુદરતી વાતાવરણ એક તળાવને મળવું જોઇએ તે મળી શકતું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે તળાવની જમીનનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે પણ કરી રહ્યા છીએ જે ખોટું છે. છતરડી તળાવમાં આજથી પાંચ વર્ષ પહેલા જેટલા પક્ષીઓ મહેમાન બનતાં હતા તે આપણા હસ્તક્ષેપને કારણે આવતાં બંધ થયા છે. દિન-પ્રતિદિન પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં હમીરસરને રામસર સાઇટની યાદીમાં કોવી રીતે સમાવેશ કરી શકાય તે એક વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. વેટલેન્ડસ્ને વેસ્ટલેન્ડસ્ બનતાં અટકાવવા માટે મીનીસ્ટરી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ દ્વારા જુલાઇ, ૨૦૦૮માં પ્રોવિઝન્સ ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ(ઇ.પી.એ.)-૧૯૮૬ થકી એક ડ્રાફટ નોટીફીકેશન બનાવવામાં આવેલું છે જેને વેટલેન્ડસ્ મેનેજમેન્ટ એન્ડ કન્ઝરવેશન રૂલ્સ-૨૦૦૮ નામ આપવામાં આવેલું છે. જોકે ઇ.પી.એ. પણ વેટલેન્ડસ્ને સફળતાપૂર્વક રક્ષણ આપી શકતું નથી.

રામસર સાઇટ તરીકે કોઇપણ વેટલેન્ડસ્ને જાહેર કરવા માટે પહેલા તો તેની ઓળખ માટે એક દરખાસ્ત કમીટી સમક્ષ તેની કેટેગરી પ્રમાણે મુકવાની હોય છે.(જૂઓ બોકસ). આ દરખાસ્ત કેન્દ્ર/રાજય, અથવા સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા, માન્ય યુનિર્વસિટી, રિસર્ચ સેન્ટર, કોમ્યનિટિસ બેઝડ્ ઓર્ગેનાઇઝેશન અથવા તો રજિસ્ટર્ડ ઓદ્યોગિક સંગઠન દ્વારા મુકી શકાય છે. દરખાસ્ત મળ્યાના ૪૫ દિવસની અંદર કમીટી દ્વારા તેની ફેરતપાસ કરવામાં આવે છે. દરખાસ્તને મંજુર કરવી કે નહી તેનો હક્ક કમીટી પાસે અબાધિત હોય છે. વેટલેન્ડસ્માં કઇ-કઇ પ્રવૃતિઓ કરી શકાશે અને કંઇ-કંઇ પ્રવૃતિઓ કરી શકાશે નહી તેનું એક વિસ્તૃત દસ્તાવેજ બનાવવામાં આવે છે. કમીટી 'ટર્મસ ઓફ રેફરન્સ'(ટી.ઓ.આર.)/સંદર્ભસૂચી બનાવીને જે-તે દરખાસ્ત કરનારને આપે છે. દરખાસ્ત કરનારે કમીટી દ્વારા આપવામાં આવેલા ટી.ઓ.આર. મુજબ વેટલેન્ડસ્ની જાળવણી કરવાની હોય છે અને એ દરમિયાન એ વેટલેન્ડને 'મોનટ્રકસ રેકર્ડ' તરીકે માન્ય કરવામાં આવે છે. જાળવણી દરમિયાનના સમયગાળામાં ટી.ઓ.આર.ની મર્યાદાનો ભંગ થાય તો એ વેટલેન્ડસ્ને 'મોનટ્રકસ રેકર્ડ'માંથી પણ દૂર કરી નાખવામાં આવે છે. ઓરિસ્સાના ચિલ્કા સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું છે પણ જે-તે સમયે જાળવણી દમિયાન ટી.ઓ.આર.નું પાલન ન થતાં તેને 'મોનટ્રકસ રેકર્ડ'માંથી પણ દૂર કરવામાં આવેલું હતું. જોકે ભારત સરકારે એ પછી ફરીથી દરખાસ્ત મુકીને એ સરોવરની ઇકોસીસ્ટમને સુધારવાની બાહેધરી આપી હતી એ બાદ તેને રામસર સાઇટના લીસ્ટમાં સામેલ કરવામાં આવેલું હતુ.

[img_assist|nid=47094|title=Catagory Table|desc=|link=none|align=left|width=199|height=157]રામસર સાઇટ માટે જાહેર કરવામાં આવેલી કેટેગરી પ્રમાણે, કેટેગરી 'સી' ના ત્રીજા અને ચોથા મુદ્રાને ધ્યાને લઇને હમીરસર તળાવને રામસર સાઇટ તરીકે જાહેર કરવાના પ્રયત્નો થવા જોઇએ. આ માટે સૌ પ્રથમ તો હમીરસર તળાવના આવક અને જાવકક્ષેત્રની ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરવી જોઇએ. એકવાર આ બન્ને ક્ષેત્ર સ્પષ્ટ થઇ જાય એ બાદ એ વિસ્તારમાં આવેલા દબાણોને હટાવવા જરૂરી છે. દબાણો તંત્ર દ્વારા કાયેદસર થઇ ગયા હોય તો કશું થઇ શકે નહી, પરંતુ નવા દબાણો થતા અટકાવવા જોઇએ. હમીરસર તળાવમાં રહેલું પાણી સ્વચ્છ રહે એ માટે તેમાં ગંદકી થતી અટકાવવી જરૂરી છે. કપડા ધોવાની જે પ્રવૃતિ થઇ રહ્યી જે એ માટે અન્યત્ર તળાવ બનાવીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શકાય. હમીરસર તળાવ પાણીથી ભરેલું રહે એ માટે તેની આસપાસના વિસ્તારોમાં કુવા/બોરવેલ દ્વારા થઇ રહેલું પાણીનું શોષણ અટકાવવું જોઇએ. ભુજ શહેરની હાલની પાણીની જરૂરિયાત ૩૬ મિલીયન લિટર પ્રતિ દિવસ છે. હમીરસર તળાવની ક્ષમતા ૩૬ લાખ ઘનમીટર છે. હવે સામાન્ય રીતે ૫૦% પાણી બાષ્પિભવન કે અન્યત્ર રીતે ઉડી જતું હોય તો પણ હમીરસર તળાવ દ્વારા ૧૮ લાખ ઘનમીટર પાણી મળી રહે. હવે ધારો કે, હમીરસર તળાવમાં ફિલ્ટ્રેશન પ્લાન્ટ બનાવીને પીવાનું અને ઘરવપરાશનું પાણી પૂરૂ પાડવામાં આવે તો કેટલા કુટુંબોને પાણી મળી રહે તેની ગણતરી કરીએ. એક વ્યકિત દીઠ ૧૪૦ લિટર/દિવસ પાણીની જરૂરિયાત હોય છે. એક વર્ષ માટે આ જરૂરિયાત ૧૪૦x૩૬૫=૫૧,૧૦૦ લિટર/માનવ/વર્ષ થાય. સામાન્ય રીતે પાંચ વ્યકિતનું એક કુટુંબ ગણીએ તો એક કુટુંબની જરૂરિયાત ૫૧,૧૦૦x૫=૨,૫૫,૫૦૦ લિટર/કુટુંબ/વર્ષ થાય. હમીરસરમાંથી મળતાં ૧૮ લાખ ઘનમીટર પાણીને લિટરમાં ફેરવીએ તો ૧૮,૦૦,૦૦૦x૧૦૦૦=૧૮,૦૦,૦૦૦,૦૦૦ થાય. હવે એક કુટુંબને પ્રતિ વર્ષ ૨,૫૫,૫૦૦ લિટર પાણીની જરૂરિયાત હોય તો ૧૮,૦૦,૦૦૦,૦૦૦/૨,૫૫,૫૦૦=૭૦૪૫ કુટુંબને પાણીની જરૂરિયાત પૂરી પાડી શકાય. આ એક આદર્શ ગણતરી પ્રમાણે આપણે વાત કરીએ છીએ. આમછતાં પણ જો હમીરસર દ્વારા આશરે ૧૦૦૦ કુટુંબને પણ પીવાનું અને ઘરવપરાશનું પાણી મળી રહે તો પણ તેનો સમાવેશ રામસર સાઇટ તરીકે થઇ શકે! સી કેટેગરીમાં જ ચોથા મુદ્રાને ધ્યાને લઇએ તો હમીરસરનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ અન્ય તળાવો કરતાં વધારે છે એ વાતની પુષ્ટી જયારે હમીરસર ઓગની જાય છે ત્યારે જાહેર રજા પાડવામાં આવે છે તેના દ્વારા મળે છે.

હમીરસર એક તળાવની સાથે ખૂબ જ મનોમંથન કરી સમજદારીપૂર્વક પાણીના એક બૃહદ સ્રોત તરીકે વિકસાવામાં આવેલું અમૂલ્ય વેટલેન્ડસ્ છે. આ વેટલેન્ડસ્નો રામસર સાઇટમાં સમાવેશ થાય એ માટે દરેક હમીરસરપ્રેમીએ પ્રયત્નો કરવા જોઇએ.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/hamairasara-talaavanae-raamasara-saaita-jaahaera-karavaa-maatae-saun-karavaun-jaoie

Post By: vinitrana
×