વડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં લાખા વણઝારાની વાવનું પુનરોત્થાનનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે. વડગામમાં આવેલી આ પૌરાણિક વાવનું નિર્માણ લાખા વણઝારાએ કર્યુ હતું.

આજની તારીખે પણ વાવની અંદર રહેલા શિલાલેખોની હકીકતો સલામત હોઇ એ વાત સાબિત થાય છે કે, આ વાવ અતિ પૌરાણિક વાવ છે. આ વાવની સાથે વણઝારાઓનો ઇતિહાસ જોડાયેલો છે.

માન્યતા પ્રમાણે ભારતવર્ષમાં વર્ષો પહેલા રાજા ભૃતહરિ, વિર વિક્રમ અને લાખો વણઝારો નામક ત્રણ ભાઇઓ હતા. રાજા ભૃતહરિએ પોતાના જીવનકાળ દરમિયાન સન્યાસ લીધો હતો. વિર વિક્રમ કુશળ રાજયકર્તા તરીકે પ્રખ્યાત પામ્યા હતા અને લાખા પાસે એક લાખ બળદોની વણઝાર હતી. આ કારણોસર લાખો લાખા વણઝારા તરીકે પ્રખ્યાત થયો હતો. લાખો વણઝારો વેપારઅર્થે ગુજરાત, મારવાડ અને કાઠિયાવાડ વિસ્તારમાં આવતો હતો ત્યારે તેને ધણા દિવસો સુધી એક જ સ્થળે મુકામ કરવો પડતો હતો. મુકામ દરમિયાન પાણીની દૈનિક જરૂરિયાત માટે તેઓ જે-તે જગ્યાએ લોકો સાથે મળીને વાવનું નિર્માણ કરતા હતા.

વડગામમાં આવેલી વાવ પણ આ પ્રકારે જ લાખા વણઝારાએ બનાવેલી હોઇ એવું શિલાલેખના આધારે માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા આ વાવનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે બોરવેલ્સની સાથે ઘરે-ઘરે પાણીની પાઇપલાઇન આવતાં આ પ્રાચીન વાવનો ઉપયોગ બંધ થઇ ગયો છે.

અગાઉના વર્ષોમાં જયારે યાતાયાતના સાધનો પૂરતાં પ્રમાણમાં ન હતા ત્યારે વણઝારાઓના બળદો એક સ્થળેથી બીજા સ્થળે ચીજ-વસ્તુઓ લઇ જવા માટે ઉપયોગી થતાં હતાં. વણઝારો એટલે એક સ્થળેથી બીજા સ્થળે ચીજ-વસ્તુઓ પહોચાડનાર! એક લાખ બળદોનો માલિક લાખો વણઝારો ફકત માલ પહોચાડનાર નહી પણ વેપારી પણ હતો. વણઝારાઓ છતવાળા વિસ્તારોમાંથી ચીજ-વસ્તુઓ ભરીને અછતવાળા વિસ્તારોમાં પહોચાડતાં હતા. વનઝારાઓની બળદો ભારતવર્ષમાં ખૂણે-ખૂણે ફરી વળતી હતી. જે-તે વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વણઝારાઓ દ્વારા વાવનું નિર્માણ કરવામાં આવતું હતું. વડગામમાં આવેલી વાવનું નિર્માણ લાખા વણઝારાએ કર્યુ હોવાનું કહેવાય છે.

વણઝારાઓની આબરૂ અને શાખ સો કોટિની ગણાતી હતી. ખમતીધર વણઝારાઓ દૂષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અનાજ અને બળદો પૂરા પાડતાં હતાં. જરૂરિયાતવાળા ખેડૂતો વણઝારાઓ પાસેથી ઉછીનું અનાજ લેતાં અને સવાયું કરીને પાછું આપતા હતાં. રાજયના રાજપૂત, દરબારો પણ વણઝારાઓનો માન-મર્તબો જાળવતાં હતા.

માલવહન કરનારા વેપારી વણઝારાઓ જે-તે વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ તેમજ મોસમની જાણકારી ધરાવતાં હતાં. દૂષ્કાળગ્રસ્ત વિસ્તારો ઉપર વણઝારોની સતત નજર રહેતી! દૂષ્કાળની ખબર પડતાં જ વણઝારા એ વિસ્તારોમાં પહોચી જતાં અને લાખો ભૂખ્યા લોકોને અનાજ પૂરૂં પાડી તેમનો જીવ બચાવતા હતાં.

વણઝારા વિચરતી જાતિ હોવાથી એમની જરૂરિયાત પ્રમાણે ઠેકઠેકાણે વાવ, કુવા કે તળાવોનું નિર્માણ કરતાં હતા જેયી પીવાના પાણીની વ્યવસ્થા થઇ શકે, એટલું જ નહી પણ તેઓ રાતવાસો કરવા માટે કે આરામ માટે ધર્મશાળાઓ પણ બનાવતાં હતા. સમગ્ર ભારતવર્ષમાં વણઝારાઓ દ્વારા નિર્મિત વાવ, કુવા કે તળાવો આજે પણ જોવા મળે છે.લાખા વણઝારાએ વડગામની જેમ જ મહેમદાબાદ તાલુકાના ખાંભલી ગામે પણ વાવ બંધાવી હતી. સરકાર દ્વારા આ વાવની કોઇ સારસંભાળ રાખવામાં આવી નથી.

આ વાવમાં ઉતરવા માટે કુલ ૧૨૫ પગથીયા છે, ૩૫ ફૂટ પહોળી છે અને આશરે ૨૦૦ ફૂટ લાંબી છે તેમ જ આ વાવમાં સાત દરવાજા છે. જર્જરીત હાલતમાં ધકેલાઇ ગયેલી આ વાવને સરકાર દ્વારા 'સીલ' કરી દેવામાં આવી છે. મહેદાબાદ તાલુકાના જ મોદજ ગામમાં આવેલી વાવની હાલત પણ જર્જરીત થઇ ગઇ છે. આ વાવનું નિર્માણ પણ વણઝારાઓએ કરેલું છે.

વણઝારાઓએ જે-તે સમયે પોતાના કૌશલ્યથી વાવ, કુવાનું નિર્માણ કરેલુ હતું પણ આજના યુગની હાઇ-ફાઇ ટેકનોલોજિની સામે હવે આપણો એ અમૂલ્ય વારસો જર્જરીત હાલતમાં જીવવાના વાંકે મરી રહ્યો છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/vadagaamanai-paraacaina-vaavanao-itaihaasa

Post By: vinitrana
×