શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન પાણી બાબતે વિકાસલક્ષી પરિવર્તન લાવી શકે છે

શહેરોમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન મુખ્યત્વે વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભજળ રિચાર્જ દ્વારા કરવામાં આવે છે. ભૂગર્ભજળ વ્યવસ્થાપનની વિચારણા મુખ્યત્વે ભૂગર્ભજળનું શોષણ, રિચાર્જ અને તેની ગુણવત્તા ઉપર મદાર રાખે છે. આપણી પોતાની જમીનમાંથી ભૂગર્ભજળનું કેટલું ખેંચાણ કરવું એ અંગેનો કોઇ કાયદો છે નહી, પણ એ આપણી વિવેકબુદ્ઘિનો વિષય છે. કેટલી ઊંડાઇએથી પાણીનું ખેંચાણ કરવું એ અંગે કોઇ મર્યાદા નથી પણ એ આપણા હાથની વાત છે કે, આપણે ઓછી ઊંડાઇએથી પાણી મેળવી શકીએ.શહેરી વિસ્તારોમાં ભૂગર્ભજળ સ્રોતોની સાથે સપાટી સ્રોતોનું પણ મહત્વ ખૂબ જ અગત્યનું છે. સપાટીય સ્રોતો મુખ્યત્વે વિસ્તારની ભૂગોળ(ટોપોગ્રાફી), ભૂસ્તર(જીયોગ્રાફી), વરસાદનું પ્રમાણ, વહેતું પાણી(રનઓફ), વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઉપર અવલંબિત હોય છે.

ભૂગર્ભજળ વ્યવસ્થાપન જળભૂસ્તર વિજ્ઞાન(જિયોહાઇડ્રોલોજિ) કરતાં ઉપરોકત મુદાઓ ઉપર આધાર રાખે છે. આથી ઉપરોકત મુદાઓ પરત્વે ધ્યાન આપવું વધારે અગત્યનું છે.

આપણે ભૂગર્ભજળના ખેંચાણની સાથે ભૂગર્ભમાં વરસાદી પાણીનું રિચાર્જ પણ કરવું જોઇએ જેથી ભૂગર્ભજળની ઊંડાઇ જળવાઇ રહે. મોટેભાગે કોઇપણ વિસ્તાર માટે જે આયોજન અને નીતિઓ બનાવવામાં આવે છે તેમાં રાજકિય અને સામાજિક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

ઘણી વખત જળવિજ્ઞાન(હાઇડ્રોલોજિ) અને જળ-ભૂસ્તરવિજ્ઞાન(જિયોહાઇડ્રોલોજિ) અંગેનું જ્ઞાન અને જે-તે વિસ્તારના માગ અને પૂરવઠાના પ્રમાણ અંગે અલગતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી દ્વારા રિચાર્જ અંગેની પ્રવૃતિને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે પણ જળ-ભૂસ્તરવિજ્ઞાનના આધારે એવું કહી શકાય કે, તેની બાજુમાં આવેલા વિસ્તારમાં આવા રિચાર્જના કારણે પાણીનો ભરાવો પણ થઇ શકે તેમ છે જે પૂર સંકટમાં પરિણમે એવું પણ બને! એવી જ રીતે સતત પાણીના ખેચાણના કારણે જે-તે વિસ્તારનું પાણીનું સ્તર એકદમ નીચું જતું રહે છે અને ભૂગર્ભજળની ગુણવત્તા બગડવાની શકયતા વધી જાય છે.

આથી જે-તે વિસ્તારના જળભૂસ્તરવિજ્ઞાનની સાથે તે વિસ્તારના માગ અને પૂરવઠાના પ્રમાણને પણ જોડવું જોઇએ એ બાદ જ ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગેની સાચી કાર્યવાહી કરી શકાય.

શહેરીકરણના વિસ્તરણને કારણે ભૂગર્ભજળ સપાટી ઉપર શું અસર થઇ છે તે જાણવા માટે શહેરમાં એક અલગ નિરિક્ષણ પદ્ઘતિ હોઇ શકે. શહેરોમાં ભૂગર્ભજળ સપાટીના નિરિક્ષણ માટે 'મોનિટરીંગ નેટવર્ક' ઊભું કરવું પડે.

આ મોનિટરિંગ નેટવર્ક માટે સ્થાનિકે કાર્યરત વિવિધ સમિતિઓ જવાબદારીઓ લઇ શકે. આપણે ગત અંકમાં વાત કરી હતી કે, શહેરમાં કાર્યરત વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે. મોનિટરિંગ નેટવર્કની કામગીરી સંકલન અંગેનું એક પ્લેટફોર્મ પૂરૂં પાડી શકે! અભ્યાસલક્ષી પાઇલોટ પ્રોજેકટ દરેક શહેરોમાં હાથ ધરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં ભૂગર્ભજળની સપાટીનું અવલોકન થઇ શકે તેમ છે.

આવા અવલોકનથી ભૂગર્ભજળની વર્તમાન સ્થિતિ અને સંભવિત ભવિષ્યની સ્થિતિ અંગેનો સચોટ ચિતાર આપી શકાય છે. આ ઉપરાંત ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગેના વિવિધ મોડેલ પ્રસ્થાપિત કરી શકાય છે જેમ કે, શહેરમાં આવેલા સપાટીય જળસ્રોતો અને ભૂગર્ભજળસ્રોતોનું એકબીજા સાથે જોડાણ કરવું, શહેરના જળચક્રનો અભ્યાસ કરીને સંભવિત પૂરની સ્થિતિનું વ્યવસ્થાપન, ભૂગર્ભજળ રિચાર્જ, ગંદા પાણીને રિસાયકલ કરીને પુન:ઉપયોગ અને કલાઇમેટ ચેન્જની અસરને જાણીને રિવર બેસીન સ્કેલ ઉપર સપાટીય સ્રોત અને ભૂગર્ભજળ સ્રોતનું વ્યવસ્થાપન.

જળ સંસાધનોની ન્યાયપૂર્ણ વહેચણી આજના સમયની એક સમસ્યા છે. આ સમસ્યા વસતી વૃદ્ઘિદર, સતત વિકાસનું દબાણ અને બદલાતા સમયની જરૂરિયાતોને કારણે જટિલ સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. આજના સમયમાં જળનું અસમાન વિતરણ રાજકિય બદલાવો, સ્રોતોનો ગેરવહીવટ અને આબોહવામાં થતા ફેરફારને આભારી છે.

આર્થિક બોજા સાથેની જૂની માળખાકીય વ્યવસ્થા તથા અપૂરતી વૈદ્યાનિક સુવિધાઓ જળ વિતરણ બાબતના તણાવમાં વધારો કરે છે. આ પરિબળો સમાજની કાયાપલટ કરી શકે છે તેમજ વસતી વધારો અને વિકાસલક્ષી પરિવર્તન પણ લાવી શકે છે. આવા વિકાસલક્ષી પરિવર્તન માટે પણ શહેરમાં કાર્યરત વિવિધ સમિતિઓએ એક જ લયસ્તર ઉપર આવવું જરૂરી છે.

સમાજના વિવિધ ક્ષેત્રોમાં જુથો વચ્ચે વધતી જતી સ્પર્ધાએ તાજા પાણીની ગુણવત્તા અને જરૂરિયાત મુજબના જથ્થાના પૂરવઠા ઉપર માઠી અસર પહોચાડી છે. જે ક્ષેત્રો વચ્ચે સ્પર્ધા છે એ ક્ષેત્રોમાં જળના વિવિધ ઉપયોગને લઇને ખામીઓ સ્પષ્ટ દેખાઇ રહી છે-શહેરી વિરુદ્ઘ ગ્રામીણ વિસ્તાર, પાણીની ગુણવત્તા વિરુદ્ઘ પાણીનો જથ્થો, ભવિષ્યની માગની સામે આજના સમયના પાણીનો જથ્થો તેમજ સેનીટેશન(સ્વચ્છતા)ની સામે અન્ય સામાજિક પ્રાથમિકતા જેવા અને મુદ્રાઓ ખામીદર્શક છે.

વિશ્વના લગભગ બધા જ દેશોમાં પાણીના ઉપયોગ અને વપરાશકર્તાઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. આ બાબતે અસરકારક વાટાઘાટો અને જળ વિતરણ અંગેની યોગ્ય ફાળવણી માટે વપરાશકર્તાઓને પોતાના મંતવ્યો રજૂ કરવા માટે બોલવવા જોઇએ જેથી સ્પર્ધા ઓછી થાય. આ પ્રકારની સ્પર્ધા ઓછી કરવા માટે સ્થાનિકે કાર્યરત વિવિધ સમિતિઓનું સંકલન અસરકારક માધ્યમ સાબિત થઇ શકે છે.

Path Alias

/articles/sahaeramaan-sathaanaika-vaivaidha-samaitaionaun-sankalana-paanai-baabatae-vaikaasalakasai

Post By: vinitrana
×