શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨

શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨

શહેરોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પાણીની જરૂરિયાતને સંતોષી શકાય છે. જરૂરિયાત પ્રમાણેના વરસાદી પાણીના સંગ્રહ બાદ વધારાના પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવું જોઇએ જેથી ભૂગર્ભજળ સપાટીમાં વધારો થઇ શકે. ભૂગર્ભજળની સપાટીના નિરિક્ષણ માટે મોનિટરીંગ વેલ્સની પ્રથા એકદમ સરળ અને ચોક્કસ છે. વેલ ઇન્વેન્ટરી પદ્ઘતિ દ્વારા ભૂગર્ભજળ સપાટીનું નિરિક્ષણ કરી શકાય છે. આ પદ્ઘતિમાં વરસાદ પહેલા અને વરસાદ બાદ કૂવાના પાણીના સ્તરને ચકાસવામાં આવે છે.

શહેરીકરણના વિસ્તરણને કારણે ભૂગર્ભજળ સપાટી ઉપર શું અસર થઇ છે તે જાણવા માટે શહેરમાં એક અલગ નિરિક્ષણ પદ્ઘતિ હોઇ શકે. શહેરોમાં ભૂગર્ભજળ સપાટીના નિરિક્ષણ માટે 'મોનિટરીંગ નેટવર્ક' ઊભું કરવું પડે. આ માટે પાઇલોટ પ્રોજેકટ તરીકે પ્રયોગાત્મક અભિગમ અપનાવવો પડે. ઉદાહરણ તરીકે આઇ.આઇ એમ.બેંગલુરૂ દ્વારા શહેરોમાં અને શહેરોની આસપાસ આવેલા ઓદ્યોગિક એકમોમાં ભૂગર્ભજળનો વપરાશ કેવી રીતે કરવામાં આવે છે તેનો અભ્યાસલક્ષી પ્રોજેકટ હાથ ધર્યો હતો. આ પ્રકારના અભ્યાસલક્ષી પાઇલોટ પ્રોજેકટ દરેક શહેરોમાં હાથ ધરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં ભૂગર્ભજળની સપાટીનું અવલોકન થઇ શકે તેમ છે. આવા અવલોકનથી ભૂગર્ભજળની વર્તમાન સ્થિતિ અને સંભવિત ભવિષ્યની સ્થિતિ અંગેનો સચોટ ચિતાર આપી શકાય છે. આ ઉપરાંત ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગેના વિવિધ મોડેલ પ્રસ્થાપિત કરી શકાય છે જેમ કે, શહેરમાં આવેલા સપાટીય જળસ્રોતો અને ભૂગર્ભજળસ્રોતોનું એકબીજા સાથે જોડાણ કરવું, શહેરના જળચક્રનો અભ્યાસ કરીને સંભવિત પૂરની સ્થિતિનું વ્યવસ્થાપન, ભૂગર્ભજળ રિચાર્જ, ગંદા પાણીને રિસાયકલ કરીને પુન:ઉપયોગ અને કલાઇમેટ ચેન્જની અસરને જાણીને રિવર બેસીન સ્કેલ ઉપર સપાટીય સ્રોત અને ભૂગર્ભજળ સ્રોતનું વ્યવસ્થાપન.

બારમી પંચવર્ષીય યોજનામાં એવી ભલામણ કરવામાં આવેલી છે કે, આખા દેશમાં એક લાખ કૂવાઓને ભૂગર્ભજળ સપાટીના નિરિક્ષણ હેઠળ લેવા જોઇએ. આમાંથી અમુક કૂવાઓ પંચાયતિરાજ દ્વારા અને અમુક કૂવાઓ શહેરના તંત્ર દ્વારા નિરિક્ષણમાં આવવા જોઇએ. આ નિરિક્ષણ દ્વારા પાણી ધરાવતા ખડકોમાં કેટલું પાણી જમા થાય છે અને કેટલા પાણીનો વપરાશ થાય છે એ જાણવા મળી શકે અને એ પણ જાણવાની કોશિષ કરવી જોઇએ કે, પાણી ધરાવતા ખડકોમાં જમા થતા પાણીથી તેની નજીકના વિસ્તારમાં આવેલા ભૂગર્ભજળની પ્રતિક્રિયા કેવી છે?

સંશોધનોથી પ્રાપ્ત વિગતોથી ફલિત થાય છે કે, ભૂગર્ભજળનો વધારે પડતો ઉપયોગ કરવાથી તેની સપાટી સતત નીચી જઇ રહી છે અને આ માટે શહેરીકરણ અને ઓદ્યોગિકરણમાં પાણીનો થઇ રહેલો બેફામ વપરાશ જવાબદાર છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન ક્ષેત્રે તાજા પાણીની માંગ વધી છે જેને કારણે ભૂગર્ભજળ સપાટીમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ભૂગર્ભજળના વધુ પડતા ખેચાણવાળા વિસ્તારમાં મોટાભાગે ભૂગર્ભજળનો ઉપયોગ ખેત ઉત્પાદન મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. આવા વિસ્તારોમાં ખેતીમાં માઈક્રો ઇરિગેશન પદ્ઘતિ દ્વારા સિંચાઇ આપવાની ભલામણો કરવાથી ભૂગર્ભજળનો વપરાશ ઘટી શકે. વધુ વરસાદ ધરાવતા ડુંગરાળ ભૂપ્રદેશ અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહના અભિગમ પ્રત્યે લોકોને જાગૃત કરવાથી ભૂગર્ભજળનો બચાવ થઇ શકે.

વર્તમાન સમયમાંઆપણે ભૂતળમાંથી જે પાણી મેળવીએ છીએ એ વર્ષો પહેલા જમા થયેલું પાણી છે. અગાઉના સમયમાં પર્યાવરણની સાનુકૂળ સ્થિતિને કારણે વરસાદ નિયમિત અને પૂરતાં પ્રમાણમાં થતો હતો. આ ઉપરાંત લોકો દ્વારા પણ આવા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી ભૂગર્ભજળ સચવાઇને રહેતું હતું. આજે પરિસ્થિતિ અલગ છે. કલાઇમેટ ચેન્જની અસર હેઠળ વરસાદનું ચક્ર ખોરવાઇ ગયું છે. વરસાદ અનિયમિત થયો છે. લોકો પરંપરાગત વરસાદી પાણીના સંગ્રહની પદ્ઘતિને ભૂલી રહ્યા છે અને વધુને વધુ પાણી ભૂતળમાંથી ખેંચી રહ્યા છે. ભૂતળમાં પાણી ખેચાણની સાથે રિચાર્જ કરવામાં આવશે નહીં તો આવનારી પેઢી માટે આપણે પાણી વગરના ખાલી ભૂતળ તેમને ભેંટમાં આપીશું. આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એ માટે ભૂગર્ભજળના વપરાશની સાથે ભૂગર્ભજળનું રિચાર્જ કરવું ખૂબ જ અગત્યનું છે. વર્તમાન પરિસ્થિતિની તાસીરને સમજીને આપણે અત્યારથી જ ભૂતળને રિચાર્જ કરવાનું શરૂ કરીએ તો હાલના અને આગામી સમયમાં પાણીની ખેંચમાં રાહત મેળવી શકાય.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/sahaerai-jalavaisataarao-maatae-bhauugarabhajala-vayavasathaapananaun-ayaojana-0

Post By: vinitrana
×