રાયપેરિયન એકટ (૧)

[img_assist|nid=46108|title=MAP|desc=|link=none|align=left|width=519|height=496]કુદરતી રીતે નદીઓને કોઇ સીમાઓ હોતી નથી. નદી પોતાના ઉદ્ગમ સ્થાનેથી ઉત્પન્ન થઇને કુદરતી રીતે પોતાનો માર્ગ શોધી આગળ વધતી હોય છે અને છેલ્લે રણમાં અથવા તો સમુદ્રમાં વિલિન થતી હોય છે. જે વિસ્તારમાંથી કે જે દેશોમાંથી નદીનું વહેણ પસાર થાય છે તેના ઉપર જે-તે વિસ્તાર કે દેશનો હક્ક બને છે. નદીનું વહેણ ઊંચાણવાળા વિસ્તારોમાંથી નીચાણવાળા વિસ્તારો તરફ હોય તે સ્વાભાવિક છે. આથી કયારેક એવું બને કે, ઉંચાણવાળા વિસ્તારોમાં નદી ઉપર ડેમ કે અન્ય બાંધકામો કરવાથી નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનું પાણી મળી શકે નહી. કુદરતી રીતે વહેતી નદીના પાણીનો ઉપયોગ કરવાનો હક્ક સૌને સમાન હોઇ શકે! આ સમાન હક્કની વહેચણી માટે જગત આખામાં એક કાયદાની જોગાવઇ કરવામાં આવી છે જે દરેક દેશ પ્રમાણે તેની ભૌગોલિક સ્થિતિને આધિન છે. આ કાયદો એટલે રાયપેરિયન એકટ.

રાયપેરિયન એકટ એટલે સરળ ભાષામાં એમ કહી શકાય કે, નદી કે પાણીના વહેણની આસપાસ જમીનનો કબજો ધરાવનાર એ નદી કે વહેણના પાણીનો ઉપયોગ પીવાના પાણી કે સિંચાઇ હેતુ માટે કરી શકે. રાજય અથવા તો દેશ પ્રમાણે આ એકટની માત્રા કાયદા અનુસાર બદલે છે પણ આ એકટ બાબતે નદી કે વહેણના પાણીને અન્યત્ર વાળીને બીજાને વેંચાણ કરવું, નદીના પાણીનો ઉપયોગ ઓદ્યોગિક હેતુ માટે કરવો, નદીના કે વહેણના પાણીની જમીનમાં ખનન કરી રેતી, કાંકરા કે ખનીજ મેળવવું જેવા મુદ્રાઓ બાબતે વિવાદ પ્રર્વતે છે. આ એકટ બાબતે સુસંગતતાની વાત કરીએ તો નદીના કુદરતી વહેણને કોઇપણ વ્યકિત કે દેશ પોતાની ઇચ્છા અનુસાર બદલી શકતો નથી કે તેના ઉપર ડેમ બાંધી શકતો નથી.

જે નદીઓ એક કરતાં વધારે રાજયો કે દેશમાંથી વહે છે તેને રાયપેરિયન નદી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતમાં રાજય કક્ષાએ દક્ષિણ ભારતની કૃષ્ણા, કાવેરી નદીઓ રાયપેરિયન નદી છે. એ જ પ્રમાણે દેશ કક્ષાએ ચીનના કબજામાં રહેલા તિબેટમાંથી નીકળતી બ્રહ્મપુત્રા અને સતલજ નદીઓ ભારતમાં વહે છે અને ઉત્તર ભારતના વિસ્તારોને તેના પાણીનો લાભ મળે છે. ચીન હવે આ નદીઓ ઉપર ડેમ બાંધીને ભારતમાં આવતું પાણી રોકવા માગે છે. ભારતમાંથી વહેતી સિંધુ, સતલજ, રાવી, ચિનાબ, બિયાસ અને ઝેલમ નદીઓ પાકિસ્તાન તરફ જાય છે. પાકિસ્તાન એવું માની રહ્યું છે કે, ભારત આ નદીઓનું પાણી પાકિસ્તાન તરફ આવતાં રોકી રહ્યું છે. આવી આ રાયપેરિય નદીઓના કુદરતી પાણીના વહેણો બાબતે રાજય કક્ષાએ તેમ જ દેશ કક્ષાએ ઝઘડા થવાના શરૂ થયા છે જે અતિ ગંભીર બાબત છે કારણ કે, આજે વિશ્વ આખામાં કુદરતી પાણીની અછત છે ત્યારે આવા ઝઘડાઓ યુદ્ઘમાં પરિવર્તિત પામે એ વાતમાં નવાઇ નથી!

નદી કે વહેણનું રાયપેયિન પાણી નદી કે વહેણના પૂરના પાણીથી અલગ છે. રાયપેરિયન પાણી એટલે નદી કે વહેણનું તેની મહત્તમ સપાટીએ સામાન્ય ગતિથી વહેતું પાણી. રાયપેરિયન એકટ એક સામાન્ય કાયદો છે જે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટસના પશ્ચિમી રાજયોમાં ઘણા વર્ષોથી લાગુ કરાયેલો છે. રાયપેરિયન એકટનો મુખ્ય સિદ્ઘાંત કુદરતી પાણીને તેની આસપાસના વિસ્તારમાં જમીન ધરાવતાં લોકોમાં વ્યવસ્થિત વહેચણી કરવાનો છે. જો પાણીનો પૂરતો જથ્થો ન હોય તો પાણીના સ્રોત પાસે આગળના ભાગમાં આવેલી જમીનના પ્રમાણમાં દરેકને સપ્રમાણ પાણીની વહેચણી કરવામાં આવે છે. આ એકટ પ્રમાણે પાણીના વહેણને તેની કુદરતી વહેણના રસ્તા ઉપરથી બદલી શકાતું નથી કે તેને વેંચી શકાતું નથી તથા પાણીને જલવિભાજકના વિસ્તારથી બહાર પણ લઇ જઇ શકાતું નથી.

ભારત-પાકિસ્તાનની આઝાદી બાદ 'ઇન્ડસ વોટર ટ્રિટી' મારફત બન્ને દેશો વચ્ચે કાશ્મીર અને પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેચણી કરવામાં આવી હતી. આ કરાર પ્રમાણે સિંધુ, રાવી અને બિયાસ નદીઓના પાણી ઉપર પાકિસ્તાનનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો હતો. સતલજ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી ભારતના ભાગે આવ્યું હતું. આ કરારના કારણે ગુજરાત રાજયના કચ્છ જિલ્લાને મોટું નુકશાન થયું. સિંધુ નદીના પાણીનું વહેણ કચ્છ તરફ આવતું હતું. આ વહેણ ઉપર પાકિસ્તાનમાં સક્કરબાર પાસે ડેમ બાંધીને પાણીને કચ્છ તરફ આવતું રોકી દેવામાં આવ્યું. કરાર પ્રમાણે ભારતે સિંધુ નદી ઉપર અત્યાર સુધી એક પણ બંધ બાંધ્યો ન હતો. કરાર પ્રમાણે ભારત સિંધુ નદીનું પાણી સિંચાઇ માટે કરી શકતું નથી પરંતુ જળ ઉર્જામાટે કરી શકે છે. કરારના અનુસંધાનમાં ભારતે લેહ અને કારગિલ વિસ્તારમાં સિંધુ નદી ઉપર બે હાઇડ્રોઇલેકટ્રીક પ્રોજેકટ શરૂ કર્યા અને પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. ભારતે વીજળી ઉત્પન્ન કરવા માટે સિંધુ નદી ઉપર 'ચૂટાક' અને 'નિમૂ બાઝગો' નામના બે ડેમ બાંધવાનું શરૂ કર્યુ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, આ પ્રોજકટ મારફત ભારત સિંધુ નદીના પાણીનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરી રહ્યું છે. ભારત દ્વારા કાશ્મીરમાં ઝેલમ નદી ઉપર ૨૪૦ મેગાવોટનો પુરી-૨ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલો તેની સામે પણ પાકિસ્તાનને વાંધો છે. જોકે ઝેલમ નદીનું પાણી ભારતના ભાગે આવ્યું હોવાથી પાકિસ્તાન વાંધો ઉઠાવી શકે નહી પણ પાકિસ્તાનનું કહેવું છે કે, આ પ્રોજેકટને કારણે પાકિસ્તાનમાં પૂરનો ખતરો વધી શકે તેમ છે.

(ક્રમશઃ)

વિનીત કુંભારાણા
Path Alias

/articles/raayapaeraiyana-ekata-1

Post By: vinitrana
×