અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવ અને દાદા હરીરની વાવ

અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવ અને દાદા હરીરની વાવ

ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા થકી વિÅવભરમાં ખ્યાતનામ છે. આ વારસાનું પ્રત્યક્ષ દર્શન કરવો તે જીવનનો એક લહાવો છે અને તે ચિર વિસ્મરણિય બની રહે છે. ગુજરાતનો આ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો અને તેની સાથે સંકળાયેલો ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમયગાળાથી ચાલતો આવ્યો છે. ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્થાપત્યનો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વ ફલક ઉપર પ્રભાવ પાડી શકે તેવા સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

માનવ સંસ્કૃતિ અને સભ્યતામાં પાણીનું મહત્વ ઘણું છે. માનવ સભ્યતા પાણીના સંગ્રહ માટે અનેકવિધ પ્રયાસો કરતી આવી છે. ગુજરાતમાં પણ શાસકોને ભૂમિગત જળસંગ્રહનો વિચાર સદીઓ પહેલા આવેલો હતો. પાણીના સંગ્રહની આ વિશિષ્ટ પદ્ઘતિ દુનિયાભરમાં અજોડ છે. ગુજરાતમાં આવેલી વિવિધ વાવ તેનું અદ્ઘિતીય ઉદાહરણ છે. વાસ્તુકલા, સ્થાપત્ય અને કળા કામગીરી એમ ત્રિવેણી સંગમના અદ્‌ભૂત નમૂનાઓ કહી શકાય તેવી અનેક વાવ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં બંધાયેલી સેંકડો પગથીયાવાળી વાવોમાંથી લગભગ ૨૫% વાવના બાંધકામમાં મહિલાઓનો ફાળો છે એવું એક અભ્યાસનું તારણ છે.

ભારતવર્ષના રાજસ્થાન અને ગુજરાત જ એવા બેરાજયો છે જયાં સૌથી વધારે પગથીયાવાળી વાવો જોવા મળે છે. આવી વાવના ઘણા ઉપયોગ હતા. વણઝારાઓ, યાત્રાળુંઓ અને શિકાર માટે નીકળેલી રાજવી પરિવારોની ટુકડીઓ તેનો વિસામો તરીકે ઉપયોગ કરતી હતી. સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે મહિલાઓ માટે પગથીયાવાળી વાવો બીજા પિયરની ગરજ સારતી હતી. વાવ ઉપર પાણી ભરવા આવતી મહિલાઓ એકબીજા સાથે સુખ-દુ:ખની વાતો કરી પોતાનું હૈયુ હળવું કરતી હતી. જોકે બ્રિટિશ રાજમાં આવી પગથીયાવાળી વાવોનો મૃત્યુઘંટ વાગી ગયો હતો. આમ થવાનું કારણ એ હતું કે બ્રિટિશરો આવી વાવોના પાણીને પીવાલાયક ગણતા ન હતા. આમ છતાં પણ ગુજરાતમાં હજુ ઘણી વાવ જીવંત છે. કેટલીક વાવોને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પાંચકુવા દરવાજા પાસે આવેલી અમૃયવર્ષી અને આસરવા વિસ્તારમાં આવેલી દાદા હરીરની વાવ વિશેની ટુંકમાં માહિતી અહી પ્રસ્તુત છે:

અમૃતવર્ષીની વાવ

ભારતીય સંસ્કૃત્તિના ઇતિહાસના પાના ફંફોસીએ ત્યારે આપણને મોગલ સમય કે તેની આસપાસના રાજાશાહીના સમયગાળા દરમિયાન પાણી સંચય કે પાણી સંબંધિત અનેકવિધ સ્વરૂપે કરાયેલી કામગીરીની ઘટનાઓ/વાર્તાઓ આપણને જાણવા મળે છે. પાણી સંબંધિત તે સમયે કરાયેલી કામગીરીના સચોટ આધાર પૂરાવાઓ આપતી બેનમુન કલા-કારીગરીની પ્રતિતિ કરાવતા વાવ, કુવા, સરોવર કે તળાવના વિવિધ ઐતિહાસીક સ્મારકો આજે પણ હયાત અવસ્થામાં સચવાયેલા જુદા જુદા સ્થળે જોવા-જાણવા મળે છે. આવા બેમીશાલ સ્મારકો આપણને તે સમયના લોકોની દીર્ઘકાલીન જળ વ્યવસ્થાપનની સોચ-સમજ ઉપર વિચાર કરતાં કરી મૂકતા હોય છે. એવા જ એક ઐતિહાસીક સ્મારકની વાત અહીં કરવી છે અને તે છે અમદાવાદમાં પાંચ કુવા દરવાજા પાસે આવેલી અનોખી અમૃતવર્ષીની વાવ

અમદાવાદ પાંચ કુવા દરવાજા પાસે આવેલી ૧૭મી સદીની અનોખી અમૃતવર્ષીની વાવને રક્ષિત સ્મારક તરીકેની કક્ષામાં સમાવેશ કરી, સંપૂર્ણ રીતે તેનું રેટ્રો ફિંટિંગ કરવામાં આવેલું છે. આ વાવ કાટખૂણી વાવ તરીકે પણ ઓળખાય છે. એક પ્રવેશદ્વારવાળી આ વાવની પડથારની સામ-સામેની દિવાલોમાં જોવા મળતા સંસ્કૃત અને ફારસી આલેખ પ્રમાણે સંવત ૧૭૭૯(હીજરી સંવત ૧૧૩૫)માં આ વાવ રઘુનાથદાસે બંધાવી હતી. આ રઘુનાથદાસ તે સમયનાં મોગલ સુબા હૈદર કુલીનખાનના અંગત દિવાન હતા. વાવના કુવા સાથે સંલગ્ન બે માળના ફૂટની તેમજ કાટખૂણે વળે છે તે પડથાર પહેલાની સમગ્ર રચના અને ભૌમિતિક અંકના વચ્ચેની ભિન્નતા નોંધપાત્ર છે. વાવના ઉપર નીચેના મજલાની ઉંચાઇ અને પ્રમાણ જાળવતી બે જુદા પ્રકારની કમાનોનું પ્રયોજન ધ્યાનાકર્ષક છે. આવું અનોખું શિલ્પ સ્થાપત્ય ધરાવતી આ એક માત્ર વાવ છે. તેની બાંધણી, જુદા-જુદા પ્રકારની શિલ્પ કારીગરી, દ્વિવિધ ભાષામાં આલેખાયેલો ઇતિહાસ વગેરે બાબતો ખૂબ જ મનમોહક અને કાબીલેદાદ છે. આ વાવને આજે રક્ષિત સ્મારક તરીકેની કક્ષામાં મહ_વનું સ્થાન પ્રાપ્ત થયું છે. આ વાવ આજની જળપ્રેમી પ્રજાનેે આવા સ્મારકોની મુલાકાત લઇ ઐતિહાસીક વારસાને જાળવી રાખવાની પ્રેરણા અર્પે છે.

દાદા હરીરની વાવ

[img_assist|nid=48067|title=DADA HARIRNI VAAV|desc=|link=none|align=left|width=314|height=218]અસારવાના શાંત પડોશમાં કોટવાળા અમદાવાદ શહેરની ઉત્તર-પૂર્વમાં શાંત નિવાસી વિસ્તાર અને કોલસાના યાર્ડની વચ્ચે એક નાનકડી શેરીમાં તમને દાદા હરીરની વાવ જોવા મળશે. કાલુપુર રેલ્વે સ્ટેશનની નજીક ગીતામંદિર અને પાલડી બસ સ્ટેશન આવેલા છે. અહીંથી આ સ્થળે જવા આવવા માટે નિયમિત બસ આસાનીથી મળી રહે છે. જમીનના સ્તરે તમને ઝાઝુ કશું નહીં જણાય, પરંતુ જેવા પગથિયા ચડશો કે તમને સીડીઓ અને સ્તંભો છેક ઊંડે કેટલાંક મજલાઓ સુધી જતાં દેખાશે, જયાં તમે સુંદર કોતરણીઓ પર તેમજ ઝાંખા ખૂણાઓમાં ઉડા-ઉડ કરતાં પંખીઓ અને ચામાચીડીયા પર પડતાં પ્રકાશના કિરણોને અચાનક જુઓ છો.

૫૦૦ વર્ષ પહેલાં સુલતાન બાઇ હરીરએ બંધાવેલી આ વાવ પાણીનો કાયમી સ્રોત પૂરો પાડવા ભૂગર્ભમાં વ્યાપક કારીગરી અને બાંધકામ ધરાવતી ગુજરાતની અન્ય વાવો જેવી જ છે. ઘણા વર્ષોથી દીર્ઘ, સૂકી મોસમોમાં શહેરને આવી વાવોએ પાણી પૂરું પાડયું હતું. હવે તળીયાનું પાણી ગંદું છે, તેમ છતાં જયારે તે બની ત્યારે આવી વાવ કેટલી પવિત્ર અને મૂલ્યવાન હતી તે સમજવું અઘરું નથી. નીચે ઉતરતા તમે દિવાલો પર તમામ પ્રકારની કોતરણીઓ જોશો, તેમાંથી કેટલીક સંસ્કૃત્તમાં છે, તો કેટલીક અરબીમાં છે. જયારે પ્રકાશ વાવમાં ઉતરવાની તૈયારી કરે તેવા સમયે વહેલી સવારે વાવની મુલાકાત લેવી ઉત્તમ છે. આ સ્થળે પહોંચવા માટે જાણકાર ઓટોરીક્ષા ડ્રાઇવરને શોધવો બહેતર છે. નજીકમાં બસો પણ છે, પરંતુ પગે ચાલીને જવું વધારે સારૂં છે.

વિનિત કુંભારાણા
Path Alias

/articles/amadaavaadamaan-avaelai-amartavarasainai-vaava-anae-daadaa-harairanai-vaava

Post By: vinitrana
×